દીકરીને કેનેડા મળવા જતાં પહેલાં હાર્ટના ઓપરેશન દરમિયાન મોત, ડોક્ટર સામે બેદરકારીનો આક્ષેપ, પુત્ર ન આવે ત્યાં સુધી.., જાણો આખી ઘટના…

ગોધરામાં હજુ બે અઠવાડિયા પહેલાં જ આરોગ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાયેલી ગુજરાત મલ્ટિ સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં મામલો ગરમાયો છે. પાનમના નિવૃત્ત કર્મચારી 61 વર્ષીય જ્યોતિષભાઈ ચીમનભાઈ પટેલ દીકરીને મળવા કેનેડા જતા પહેલાં હૃદયની બે નળીઓના બ્લોકેજની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમનું ઓપરેશન બાદ મોત થતાં મૃતકનાં સ્વજનોએ તબીબની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ ઓપરેશન કરનાર ડોક્ટર એન.જોન દર્દીના મોતની જાણ સ્વજનોને કરવાના બદલે ICUમાં વેન્ટિલેટર ચઢાવીને હોસ્પિટલમાંથી રફૂચક્કર થઈ ગયા હોવાનો સ્વજનનોએ આક્ષેપ કર્યો છે. તો સમાજના અગ્રણી જ્યોતિષભાઈના મોતના સમાચાર સાંભળતા પટેલ સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જેને કારણે હોસ્પિટલમાં ગરમાયેલા માહોલને પગલે પોલીસ તંત્રનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. મૃતકનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં રહેતો હોઇ તે વિદેશથી ન આવે ત્યાં સુધી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રહેશે અને બાદમાં પોલીસ તપાસ થશે.
ઓપરેશન ટેબલ ઉપર અચાનક શું થયું?
પાનમ કચેરીના સેવા નિવૃત કર્મચારી અને શહેરના પ્રગતિનગર સોસાયટીમાં રહેતા અંદાજે 61 વર્ષીય જ્યોતિષ ચીમનભાઈ પટેલ આગામી તા.6ના રોજ કેનેડા જતાં પહેલાં ગુજરાત મલ્ટિ સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં સ્વાસ્થ્યની ચકાસણી માટે બે દિવસ પહેલાં ગયા હતા. એમાં હૃદયની બે નળીઓમાં બ્લોકેજ હોવાનું ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું અને તમારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેમ છે. જેથી જ્યોતિષભાઈ પટેલ ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. એમાં એક નળીના બ્લોકેજનું ઓપરેશન કર્યા બાદ બપોર બાદ બીજી નળીના ઓપરેશન માટે લઈ જવામાં આવેલા જ્યોતિષભાઈ પટેલને ઓપરેશન ટેબલ ઉપર અચાનક શું થયું? કે ડોક્ટર અને સ્ટાફની અચાનક દોડધામથી ચોકી ગયેલાં સ્વજનોની પૂછપરછોમાં જ્યોતિષભાઈને એટેક આવ્યો છે, પરંતુ સારું થઈ જશે ના જવાબો આપ્યા બાદ જ્યોતિષભાઈને આઈ.સી.યુ.માં ખસેડીને વેન્ટિલેટર ઉપર મૂક્યા બાદ આ અપમૃત્યુની આ ઘટનાને છુપાવીને તબીબ અને સ્ટાફમાં કર્મચારીઓ એક પછી એક અદૃશ્ય થઈ ગયા. સ્વજનો ભારે આક્રોશ સાથે હોબાળો મચાવતા પોલીસ તંત્રનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
એક નળીનું ઓપરેશન કરી કહ્યું કે બીજી નળીમાં સોજો છે
ત્યારબાદ દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકના નાના ભાઈ નરેન્દ્ર ચીમનભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારો મોટો ભાઈ જ્યોતિષ ચીમનભાઈ પટેલ કેનેડા જવાના હતા, તે માટે તેઓ મેડિકલ ચેકઅપ માટે ગુજરાત મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ગયા હતા. જ્યાં ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તમારી બે નળી બ્લોક છે માટે ઓપરેશન કરાવવું પડશે, જેથી ડોક્ટર સવારે 10 વાગ્યે હોસ્પિટલમાં લઈ ગયા અને એક નળીનું ઓપરેશન કરી અને કહ્યું કે બીજી નળીમાં સોજો છે, માટે વડોદરાથી ડોક્ટર આવશે ત્યારબાદ જ ઓપરેશન કરવામાં આવશે. ત્રણ વાગ્યા સુધી વડોદરાથી કોઈ ડોક્ટર આવ્યા નહીં અને સીધા આઈસીયુ લઈ ગયા. ખબર નહીં આ લોકોએ શું ભૂલ કરી. કલાક પછી આવીને કહી ગયા કે જ્યોતિષભાઈ પટેલને એટેક આવ્યો છે માટે કેસ સિરિયસ છે અને બચવાની કોઈ શક્યતા નથી.
તાત્કાલિક આ હોસ્પિટલને સીઝ કરવા મૃતકનાં સ્વજનોની માગ
મૃતકના મામાના છોકરા શૈલેષભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે, આજથી દસ દિવસ પહેલાં બનેલી ગુજરાત મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગઈકાલે મારા મામાના છોકરા જ્યોતિષભાઈ પટેલ હાર્ટના રિપોર્ટ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. તેમને જબરજસ્તી દાખલ કરી તેમનું ઓપરેશન ગઈકાલે સવારે કર્યું અને આ ઓપરેશનના કારણે તેમને મોત થયું છે. અહીંયાં જરૂરી પૂરતાં સાધનો નહીં છતાં પણ ડોક્ટર ઓપરેશન કર્યું છે. ડોક્ટર, સંચાલકો અને ટ્રસ્ટીઓ આ વસ્તુની કાળજી લીધા વગર ખાલી ધંધો બનાવ્યો છે તેવો આક્ષેપ પણ મૃતકનાં સ્વજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેના લીધે અમારે સ્વજનને ગુમાવવું પડ્યું હતું, માટે તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલ બંધ થવી જોઈએ તેમજ આના ઉપર કાયદાકીય રીતે તપાસ થવી જોઈએ. મશીનરી ડોક્ટર હાજર નથી, ટ્રસ્ટી કે એમના સંચાલકો હાજર નથી. તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલને સીઝ કરવામાં આવે તે માટે મૃતકનાં સ્વજનોએ માગ કરી હતી.
પહેલા એન્જિયોગ્રાફી કરવાનું કહ્યું અને બાદમાં કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે
મૃતકની પત્ની કુસુમબેન પટેલ સાથે દિવ્ય ભાસ્કરે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારે કેનેડા જવાનું હોવાના કારણે ગયા મંગળવારે ગુજરાત મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે આવ્યા હતા. જેમાં એમને અમારા બધા રિપોર્ટ બતાવ્યા હતા. અમને કહ્યું હતું કે, એન્જિયોગ્રાફી કરાવી છે ત્યારે ડોક્ટરે કહ્યું કે, તમે અઠવાડિયું રાહ જુઓ, અત્યારે દવાઓ આપું છું અને સોમવારે 10:00 વાગ્યા બોલાવ્યા. અમે હોસ્પિટલમાં આવ્યા હતા. ડોક્ટરે કહ્યું કે તમારે રોકાવું પડશે ત્યારે મૃતકની પત્ની કુસુમબેનને કહ્યું કે તમે તો કહેતા હતા કે એન્જિયોગ્રાફી કરતા 10 મિનિટ લાગે છે, તો પછી કેમ રોકાવાનું કહો છો પરંતુ ડોક્ટરે કહ્યું કે તમારે રોકાવું પડશે. જેથી અમે રોકાયાં હતાં. ત્યારબાદ સાંજે એન્જિયોગ્રાફી કરી તો તેમણે કહ્યું કે તમારી બંને નળી બ્લોક છે, માટે ઓપરેશન કરાવવું પડશે. જેથી અમે ઓપરેશન કરાવવા માટે રોકાયા હતા.
પટેલ સમાજના લોકોમાં આક્રોશ
હોસ્પિટલમાં આવેલા પટેલ સમાજના લોકોએ હોબાળો કર્યો હતો. જેમાં જ્યોતિષ ચીમનભાઈ પટેલના ડેથ સર્ટિફિકેટ બી.એચ.એમ.એસ ડોક્ટરે સહી કરી આપ્યું હતું. જેમાં જ્યોતિષ પટેલનું મોત નેચરલ રીતે થયું છે તેઓ ઉલ્લેખ કરવામાં આવતા પટેલ સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. જેના લીધે પંચમહાલ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક પી.આર રાઠોડ ઘટના સ્થળે આવી પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
પુત્ર વિદેશથી આવે પછી થશે પોલીસ તપાસ થશે
પંચમહાલ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પી.આર રાઠોડે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગોધરા પ્રગતિનગર ખાતે રહેતા જ્યોતિષભાઈ પટેલ જેમની ઉંમર 61 વર્ષની છે. જેમને ગઈકાલે તેમને હાર્ટના પ્રોબ્લેમના કારણે ગુજરાત મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના દીકરા આઉટ ઓફ ઇન્ડિયા રહે છે, તે સિવાય તેમનાં સગાસંબધીઓ અહીં આવેલાં છે. જ્યાં સુધી તેમના દીકરા નહીં આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી. જ્યારે પોલીસ દ્વારા ઓપ્શન આપેલ કે તમને લાગે છે કે ડોક્ટરે બેદરકારી દાખવી છે તો તેનું અકસ્માતે મોત દાખલ કરાવી અને તેને પીએમ કરાવો. પોલીસ તપાસમાં આજે સારવાર કરાવી છે તેના કાગળો લઈને ફોરેન્સીસ મેડિસિન વિભાગમાં રીફર કરાવી અને કમિટી નક્કી કરશે કે નિષ્કાળજી છે તો લીગલ કાર્યવાહી કરવામાં આવશે. તેમના દીકરા આઉટ ઓફ ઇન્ડિયા છે અને જો તેમનો દીકરો કહેશે કે આની તપાસ કરવી છે તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.