સુરત પોલીસની દરિયાદિલીએ જીત્યા દરેક દિલ- પિતાના આપઘાતથી નોંધારી થયેલી દીકરીના માતા-પિતા બની સરથાણા પોલીસ

સુરત પોલીસની દરિયાદિલીએ જીત્યા દરેક દિલ- પિતાના આપઘાતથી નોંધારી થયેલી દીકરીના માતા-પિતા બની સરથાણા પોલીસ

સુરતમાં માતા વિહોણી 6 વર્ષની દીકરીના પિતાએ આપઘાત કરી લેતા મહિલા પીએસઆઈએ માસૂમને પ્રેમ આપ્યો. મહિલા પોલીસ કર્મીએ અનાથ દીકરીને પોતાના ઘરે દીકરીની જેમ રાખી અને બાળકી અને માતા પિતાની યાદ ન આવે તે માટે પ્રયાસ કર્યો હતો અને બાળકીના ચહેરા પણ અનેક ખુશી હોવા મળી હતી.

સુરતના સરથાણામાં રત્નકલાકારે માતા વિહોણી પુત્રીને સુવડાવી ફાંસો ખાઈ લીધો હતો. જે મુળ ભાવનગરના અને અગાઉ સુરતના લંબેહનુમાન રોડ રેણુકાભવન પાસે રહેતા હતા. ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેમના પત્નીનું અગાઉ કોરોનામાં અવસાન થઈ ગયું હતું. બાદમાં તે લોકો ભાવનગર પોતાના વતન ચાલ્યા ગયા હતા.

ત્યારે શનિવારે તેઓ તેમની 6 વર્ષીય દીકરી સાથે વતનથી સુરત આવ્યા હતા અને સારોલી બીઆરટીએસથી વનમાળી જંક્શન બીઆરટીએસ બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં આંબાના ઝાડ પાસે રાત્રે આશરો લીધો હતો. રાતના અંધારાના સમયે તેઓએ દીકરીને સુવડાવી દીધા બાદ પોતે આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાધો હતો.

આ ઘટના બાદ માસુમ દીકરી નિરાધાર બની છે. આવામાં માસુમ દીકરીની વ્હારે સરથાણા પોલીસ આવી હતી. મહિલા પીએસઆઈ બી.ડી. મારૂએ માસૂમ દીકરીનું પ્રેમપૂર્વક જતન કરી રહ્યાં છે.

હાલમાં 6 વર્ષની માસૂમ દીકરીએ માતા ગુમાવ્યા બાદ પિતાએ આપઘાત કરી લેતા અનાથ બની ગઈ હતી. જેથી સુરતની સરથાણા પોલીસ પાસે હાલ માસૂમ દીકરી છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતાં. જ્યાં તેણીને નવડાવી ધોવડાવી, જમાડીને બીજે દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યાં હતાં. હાલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ બાળકીને કંઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખી રહ્યો છે.

પોલીસે દીકરીની પુછપરછ કરતા તેણે તેની માતાનું અગાઉ અવસાન થઈ ગયું હોવાનું તેમજ શનિવારે જ વતનથી સુરત આવ્યા હોવાનું અને પિતા હીરાના કારખાનામાં કામ કરવા માટે જવાના હોવાનું જણાવ્યું હતું. જોકે, પિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. આ બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી કે તેમના કોઈ વાલીવારસ મળી આવે તે તો તપાસ કરીને સોંપવામાં આવશે અથવા તો પછી સુરત નારી સંરક્ષણ ગૃહમાં મુકવામાં આવશે. પણ હાલમાં તો પોલીસ તેની માતાપિતાનો છાયો બની સારસંભાળ રાખી રહ્યાં છે. વધુમાં જો કોઈ નહીં મળે તો તેના પિતાના અગ્નિ સંસ્કાર પણ પોલીસ બાળકીના હાથે કરાવાશે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *